રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં : 33 થી વધુ લોકોના મૃત્યુ બાદ હવે તંત્ર જાગ્યું ,ગૃહ વિભાગ - સરકારે જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ કર્યા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27052024_052019_WhatsApp Image 2024-05-27 at 10.47.03_095fcb34.webp)
- 27 May, 2024
25 મે, 2024ના રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં અચાનક આગ ફાટી નીકળતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા . આ દિવસ રાજ્યના અને રાજકોટ શહેરના ઇતિહાસમાં કાયમ યાદ રહેશે. વેકેશનમાં લોકો આનંદ માણવા નીકળ્યા અને ક્યારેય પાછા ન ફર્યા. તેથી હવે મજા માણવા જતાં પહેલા પોતાની સલામતીની કાળજી લેવી કેટલી જરૂરી છે , તેથી આનંદ માણવા માટે ક્યા જવું યોગ્ય રહેશે ???
25 મે, 2024ના રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ફાટી નીકળેલી આગમાં મહત્વની વાત સામે આવી હતી કે ઇમરજન્સી ગેટ બંધ હોવાથી લોકો બહાર નીકળી શક્યા નહીં. આ મામલે હજી સુધી પ્રાપ્ત માહિતી મુજબ 33 થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ અગ્નિકાંડમાં મોતને ભેટેલાં લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યાં છે.
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં માસુમ જીંદગીઓ હોમાઈ ગયા બાદ સફાળે જાગેલા વહીવટી તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલીક પગલા ભરવામાં આવ્યા છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકામાં તેમજ આર એન્ડ બી માં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર જયદીપ ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આર.સુમા તેમજ આસિસ્ટન્ટ ટાઈન પ્લાનર ગૌતમ જોશી, પીઆઈ વી.આર.પટેલ, પીઆઈ એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે.
ગૃહ વિભાગ અને મુખ્યમંત્રીની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.ગૃહ વિભાગ અને સરકારના એક્શનમાં અત્યારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે મોટા અધિકારીઓનો બચાવ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પ્રજામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એવામાં TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ ક્રાઈમ બ્રાંન્ચને સોંપવામાં આવી છે. આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવાઈ છે. સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરીના નેજા હેઠળ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ઝોન 2 DCP સુધીર દેસાઈ અને DCP ક્રાઇમ તપાસ ટીમના સભ્યો હશે.
ગુજરાત હાઈકોર્ટે ગેમ ઝોનમાં આગની ઘટનાની સુઓમોટો હાથ ધરી હતી અને રાજ્યના 4 મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં બનેલા ગેમ ઝોનના રિપોર્ટ મંગાવ્યા હતા. ચાર શહેરોની નગરપાલિકાઓ આજે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ કેસની સુનાવણી કરશે. વકીલોએ પહેલા જ આરોપીનો કેસ લડવાની ના પાડી દીધી છે.